UCC કમિટીએ સુરત આવી અભિપ્રાય લીધા

UCCનાં અમલ માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની આગેવાનીમાં ગઠિત કમિટી અલગ-અલગ જિલ્લાઓની મુલાકાત લઈને વિવિધ સમાજનાં આગેવાનોનાં અભિપ્રાય અને સૂચનો મેળવી રહી છે. તે અંતર્ગત કમિટીએ સુરત આવી અભિપ્રાય લીધા હતા. જેમાં મુસ્લિમ આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો તો વિહિપ આગેવાને કહ્યું કે હિન્દુ-મુસ્લિમ એકતાની માત્ર વાતો કરવાથી એકતા આવવાની નથી. તમામ વ્યક્તિને એક સરખા હક અને અધિકાર મળવા જોઈએ.સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત કમિટીના સભ્યો વચ્ચે બેઠક બાદ બપોરે વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા સામાજીક અગ્રણીઓ સાથે પણ કમિટી દ્વારા સૂચનો મેળવવામાં આવ્યા હતા. જેમાં પ્રારંભમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અને ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે રજૂઆતકર્તાઓ પાસેથી સૂચનો અને મંતવ્યો મેળવવામાં આવ્યા હતા.ગત રોજ(2 માર્ચ) વલસાડ જિલ્લામાં યુસીસી સંદર્ભે સમિતિનાં અધ્યક્ષ નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ, સિનિયર એડવાઈઝર શત્રુઘ્ન સિંઘ, વિરિષ્ઠ એડવોકેટ આર.સી. કોંડેકર, ડો. દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ દ્વારા 100 જેટલા પ્રબુદ્ધ નાગરિકોના સૂચનો મેળવવામાં આવ્યા હતા. અત્યાર સુધી સમિતિ દ્વારા રાજ્યભરના 32 જિલ્લાની મુલાકાત લેવામાં આવી છે અને આજે સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા.કલેક્ટર કચેરી ખાતે મુસ્લિમ અગ્રણી મુફ્તી તાહિર બાક્સવાલા (મુસ્લિમ પર્સનલ લો બોર્ડ), મૌલાના અરશદ મીર (પ્રમુખ જમિયત ઉલેમાએ હિંદ, સુરત) સહિત સામાજીક અગ્રણી કનુભાઈ ટેલર, મથુરભાઈ સવાણી, યઝદી કરંજિયા અને સવજીભાઈ ઢોળકિયા સાથે યુસીસીનાં અમલીકરણ સંદર્ભે જરૂરી સુચનો અને મંતવ્યો જાણવામાં આવ્યા હતા. બાદમાં બપોરે 12 કલાકે સર્કિટ હાઉસ ખાતે કમિટીનાં સભ્યો દ્વારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા સહિત એડવોકેટ તાહિર હકીમ, ઈકબાલ મિર્ઝા, સૈયદ ઈમરાન અલી કાદરી અને અંજુમન કમિટીનાં અગ્રણીઓ સાથે પણ રૂબરૂ મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન મુસ્લિમ આગેવાનો દ્વારા યુસીસીનાં કાયદા અંગે જરૂરી સૂચનો સાથે કાયદાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

FOLLOW US

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *