
ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા તણાવની અસર; સુરતની એરસ્પેસ વૈશ્વિક એરક્રાફ્ટ માટે મહત્ત્વના વૈકલ્પિક માર્ગ તરીકે ઉભર્યું ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ભરી સ્થિતિમાં સૌથી મોટી સમસ્યા એરસ્પેસની સમસ્યા હતી. પાકિસ્તાને તેની એરસ્પેસ બંધ કરી દીધી હતી. જેના કારણે ભારત જતી અને આવતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને સુરત એરસ્પેસમાંથી પસાર થવું પડતું હતું. 4 મેથી 10 મે સુધી એટલે કે 7 દિવસમાં 6,469 ફ્લાઈટ્સ સુરત એરસ્પેસમાંથી પસાર થઈ હતી.

દરરોજ 600થી 700 એરક્રાફ્ટ ઓપરેટ થતા છેલ્લા સાત દિવસની અંદર એક કલાકમાં 39 ફ્લાઇટોએ સુરતની એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. એક સપ્તાહ પહેલા સુધી સુરત એરસ્પેસ પરથી દરરોજ 600થી 700 એરક્રાફ્ટ ઓપરેટ થતા હતા. નોંધનીય છે કે, મંગળવાર, બુધવાર અને શુક્રવારની વચ્ચે આ સંખ્યા અનુક્રમે 981, 1014 અને 1008 નોંધાઈ છે, જે આ વિસ્તાર માટે ઐતિહાસિક ગણી શકાય. માત્ર શનિવારે આ સંખ્યા ઘટીને 840 થઈ ગઈ હતી. ભારતે સુરક્ષાના કારણોસર તેના 22 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કર્યા હતા. આ સંજોગોમાં સુરતની એરસ્પેસ વૈશ્વિક એરક્રાફ્ટ માટે મહત્ત્વના વૈકલ્પિક માર્ગ તરીકે ઉભરી આવી છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સુરતમાંથી પસાર થાય છે ટ્રાફિકનું કારણ એ છે કે, યુરોપ, ચીન, મલેશિયા અને ગલ્ફ દેશો માટે જતી ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હવે વૈકલ્પિક રૂટ તરીકે સુરત એરસ્પેસમાંથી પસાર થાય છે. આ ફ્લાઈટ્સે 35 હજારથી 41 ફૂટ ઉપરથી સુરતની એરસ્પેસ પસંદ કરી અને યુરોપ, ચીન તેમજ એશિયા અને આફ્રિકા જેવા ખંડોના વિવિધ દેશોમાં ઉડાન ભરી જતા હતા. આંકડા મુજબ સુરતમાં વપરાશ વધીને 100% થયો છે. આ માત્ર સુરતના વ્યૂહાત્મક મહત્ત્વને જ નહીં, પરંતુ હવાઈ માર્ગોનું મહત્ત્વ પણ દર્શાવે છે.
પાકિસ્તાનની એરસ્પેસ બંધ થવાને કારણે અસામાન્ય સ્થિતિએ મુંબઈ એરપોર્ટના ATC પર પણ ભારે દબાણ કર્યું હતું, પરંતુ સુરત એરપોર્ટના ATC (એર ટ્રાફિક કંટ્રોલ)એ મુંબઈનો ભાર ઘણો ઓછો કર્યો હતો. જોકે આ સમયગાળા દરમિયાન કોઈ મોટી ટેકનિકલ કે સુરક્ષા પડકારો સામે આવ્યા નથી, પરંતુ આ અનુભવ દર્શાવે છે કે સુરત જેવા મધ્યમ શહેરો પણ વૈશ્વિક ઉડ્ડયન નકશામાં પોતાનું સ્થાન બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ કારણે સુરત એરપોર્ટને 24×7 કાર્યરત કરવામાં આવ્યું હતું.