કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે

સુરતમાં ડોગ લાઇસન્સ માટે ચેરમેન-પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત; 1000થી વધુ પેટ ડોગ માલિકોને નોટિસ

સુરતમાં તમે કૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે. સુરતમાં ડોગ લાઇસન્સ માટે સોસાયટી ચેરમેન અને 10 પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત કરાયા છે. અમદાવાદમાં પાલતુ શ્વાન કરડવાથી એક બાળકનું કરુણ મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. નાગરિકોની સુરક્ષા અને પાલતુ પ્રાણીઓ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે સુરત પાલિકાએ પાલતુ શ્વાન રાખવા માટે લાઇસન્સ ફરજિયાત બનાવવાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાના માર્કેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગેના નિયમો ઘડવામાં આવ્યા છે અને ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યા છે. બીજી બાજુ માર્કેટ વિભાગ દ્વારા શહેરમાં 1000થી વધુ પાલતુ શ્વાન માલિકોને નોટિસો ફટકારવામાં આવી છે. નોટિસ અનાદર બદલ શ્વાન માલિકને મોબાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં જજ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

નવા નિયમો અને લાઇસન્સ પ્રક્રિયા માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ દિગ્વિજયરામના જણાવ્યા અનુસાર, સુરત શહેરમાં હવે કોઈપણ વ્યક્તિ પાલતુ શ્વાન રાખવા માંગતી હોય, તો તેણે ફરજિયાતપણે પાલિકા પાસેથી લાઇસન્સ મેળવવું પડશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય શ્વાન કરડવાના બનાવોને અટકાવવા અને પાલતુ પ્રાણીઓના માલિકોની જવાબદારી નક્કી કરવાનો છે.

લાઇસન્સ મેળવવાની શરતો અને દસ્તાવેજો

  • સોસાયટીમાં રહેતા હોય તો: આસપાસના 10 પાડોશીઓની બાંહેધરી પત્ર ફરજિયાત છે.
  • એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો: એપાર્ટમેન્ટના ચેરમેન અને આસપાસના પાડોશીઓની બાંહેધરી જરૂરી રહેશે.

150 અરજીઓ મંજૂર, 109 અરજીઓ તપાસ બાદ કેન્સલ પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા આ નવા નિયમો લાગુ કરતાં પહેલાં જ શહેરમાં 1000થી વધુ પાલતુ શ્વાન માલિકોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ નોટિસો દ્વારા તેમને નવા નિયમો વિશે જાણ કરવામાં આવી હતી અને લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં પાલિકાને લાઇસન્સ માટે કુલ 256 અરજીઓ મળી છે. તેમાંથી 150 અરજીઓને મંજૂરી આપીને લાઇસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. જોકે, 109 અરજીઓ તપાસ બાદ કેન્સલ કરવામાં આવી છે.

નિયમ ભંગ કરનાર સામે કોર્ટ કાર્યવાહી માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ દિગ્વિજયરામે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો કોઈ શ્વાન માલિક લાઇસન્સ વિના પાલતુ શ્વાન રાખતો જણાશે, તો તેની સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. નોટિસ અનાદર બદલ શ્વાન માલિકને મોબાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યાં જજ દ્વારા નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય ગુજરાતમાં રોડ પર કે લિફ્ટમાં પાલતુ શ્વાન કરડવાના કિસ્સાઓ વારંવાર સામે આવતા હોવાથી લેવામાં આવ્યો છે, જે નાગરિકોની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: 4 માસની બાળકીને ફાડી ખાનારા શ્વાનના માલિકની ધરપકડ

સુરત મહાનગરપાલિકા (SMC)માં પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે કરી શકાશે.

1. ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરવું પ્રથમ પગલું એ છે કે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ (www.suratmunicipal.gov.in) ની મુલાકાત લો. “ડાઉનલોડ્સ” અથવા “ઓનલાઈન ફોર્મ્સ” વિભાગ શોધો. આ વિભાગમાં તમને ખાસ કરીને પાલતુ શ્વાનના રજિસ્ટ્રેશન સંબંધિત ફોર્મ મળશે, જેનું શીર્ષક ઘણીવાર “કુતરા પાળવા બાબત” હોય છે. તમારે આ ફોર્મ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરવું પડશે.

2. ફોર્મ ભરવું અને દસ્તાવેજો એકત્રિત કરવા એકવાર તમારી પાસે ફોર્મની પ્રિન્ટ આવી જાય, પછી તેને સંપૂર્ણ અને સચોટ રીતે ભરો. તમારે તમારા (માલિક તરીકે) અને તમારા પાલતુ શ્વાન બંને વિશે વિગતવાર માહિતી આપવી પડશે.

SMCની એક મહત્વપૂર્ણ જરૂરિયાત છે જે પાલતુ માલિકોએ પાળવી પડશે

  • 10 પાડોશીઓ અને સોસાયટીના ચેરમેનનું વાંધા પ્રમાણપત્ર (NOC)

ચર્ચાસ્પદ જરૂરિયાત છે. તમારે તમારા ઓછામાં ઓછા 10 પાડોશીઓ અને તમારી હાઉસિંગ સોસાયટીના ચેરમેન(જો લાગુ હોય તો) પાસેથી સહી કરાવવી પડશે, જે ખાતરી કરશે કે તેમને તમારા પાલતુ શ્વાનને રાખવા સામે કોઈ વાંધો નથી.

  • માલિકનો ઓળખ અને સરનામાનો પુરાવો

આમાં સામાન્ય રીતે તમારા આધાર કાર્ડની નકલ અને તમારા મ્યુનિસિપલ ટેક્સ બિલ અથવા ભાડા કરારની નકલ રહેઠાણના પુરાવા તરીકે શામેલ હોય છે.

  • શ્વાનની વિગતો અને રેકોર્ડ્સ

રસીકરણ રેકોર્ડ્સ: તમારે તમારા શ્વાનના વર્તમાન રસીકરણના પુરાવા, ખાસ કરીને હડકવા (રેબીઝ) માટે, સબમિટ કરવા પડશે. શ્વાનનો ફોટોગ્રાફ: તમારા પાલતુ શ્વાનનો એક સ્પષ્ટ ફોટોગ્રાફ સામાન્ય રીતે જરૂરી હોય છે. જાતિની માહિતી: તમારા શ્વાનની જાતિ વિશેની વિગતો.

3. વોર્ડ ઓફિસમાં ફોર્મ સબમિટ કરવું ફોર્મ ભર્યા પછી અને તમામ જરૂરી દસ્તાવેજો એકઠા કર્યા પછી, તમારે તેમને તમારી સંબંધિત વોર્ડ ઓફિસ સુરત મહાનગરપાલિકામાં સબમિટ કરવા પડશે. સબમિશન પહેલાં તમારા પોતાના રેકોર્ડ્સ માટે તમામ દસ્તાવેજોની ફોટોકોપી રાખવાના લેશે.

અમદાવાદમાં 50,000 પેટ ડોગની સામે 18589 ડોગના રજીસ્ટ્રેશન થયા અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ શહેરમાં પેટ ડોગના માલિકો દ્વારા હજી પણ રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ખૂબ ધીમી છે. 1 જાન્યુઆરી 2025થી 30 જૂન 2025 સુધી એમ 6 મહિનામાં 15,688 પેટ ડોગના માલિકો દ્વારા 17,859 જેટલા પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા છે. સૌથી વધારે લેબ્રાડોર પ્રજાતિના પેટ ડોગ લોકો ધરાવતા હોવાનું સામે આવ્યું છે. જર્મન શેફર્ડ અને શિત્ઝુ તેમજ ગોલ્ડન રોટવીલર પ્રજાતિના પેટ ડોગ સૌથી વધારે લોકો રાખી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પેટ ડોગમાં સૌથી વધારે આ ચાર પ્રજાતિના છે. ડોગ રજિસ્ટ્રેશન માટેની તારીખ વધુ એક મહિના માટે લંબાવાઇ છે.

પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ પેટ ડોગના રજિસ્ટ્રેશન અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ પેટ ડોગ નોંધાયેલા છે જેમાં જર્મન શેફર્ડ, લેબ્રાડોર, પામેરિયન, ગોલ્ડન રોટવીલર અને હસ્કી પ્રજાતિના ડોગનો સમાવેશ થાય છે. હજી પણ શહેરમાં અંદાજિત 32,000થી વધુ પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા નથી. ત્યારે હવે ડોગ રજિસ્ટ્રેશનની ફીમાં વધારો કરી 500 રૂપિયા કરવામાં આવ્યા છે. જે પેટ ડોગ માલિકોએ હજી સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમણે 31 જુલાઈ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.

સૌથી વધુ જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રોટવીલર સહિતના ડોગનું રજિસ્ટ્રેશન ડોગ રજિસ્ટ્રેશન સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાં ન્યુ રાણીપ, નવાવાડજ, બલોલનગર, જજીસ બંગલો, ગુલાબ ટાવર, ચાંદલોડિયા, સતાધાર, જોધપુર, સેટેલાઈટ, ઘાટલોડિયા, ગોતા, થલતેજ, બોપલ, ઘુમા, વાસણા, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ચાંદખેડા, મોટેરા સહિતના વિસ્તારોમાં થયા છે. સૌથી વધારે જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રોટવીલર, સિબેરીયન અને ડોબરમેન સહિતના ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. સૌથી ઓછા મધ્ય ઝોન વિસ્તારમાં શાહીબાગ, ડફનાળા, શાહપુર, અસારવા, ખાડિયા, દિલ્લીદરવાજા, જેવા વિસ્તારોમાંથી લેબ્રાડોર, જર્મન શેફર્ડ અને પામેરીયન ડોગનું રજિસ્ટ્રેશન થયું છે.

રજિસ્ટ્રેશનની તારીખ લંબાવી 31 જુલાઈ સુધી કરાઈ CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે, શહેરમાં જે નાગરિકો ઘરમાં શ્વાન પાળતા હોય (પેટ ડોગ) એવા શ્વાનની ગણતરી કરવામાં આવતી નહોતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા હવે પેટ ડોગની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી 30 જૂન સુધી હતી. જેની તારીખ લંબાવીને 31 જુલાઈ 2025 સુધી કરવામાં આવી છે. શહેરમાં પશુઓના રજિસ્ટ્રેશન માટે જેમ કેટલ પોલિસી બનાવવામાં આવી હતી તેમ પાલતુ શ્વાન (પેટ ડોગ) માટે રજિસ્ટ્રેશન અને લાયસન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના અંતિમ સંસ્કાર માટે ડોગ સ્મશાન બનાવવામાં આવશે જેના ઉપયોગ અને ડોગ લઈને ફરવા પ્રતિબંધ જેવા નિયમો પણ બનાવવામાં આવશે. જો કે આ પોલિસી અંગે હાલ વિચારણા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ બાબતે ચર્ચા વિચારણા કરીને પોલિસી લાગુ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.

પેટ ડોગના નોંધણી ફી રૂ. 500 ચૂકવવાની રહેશે ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરી પ્રતિ પાલતુ શ્વાન (પેટ ડોગ) નોંધણી ફી રૂ. 500 ચૂકવવાની રહેશે. જેમાં pay ઉપર ક્લિક કરી ફી પી ચુકવી શકાશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રજિસ્ટ્રેશન રહેશે. જો જરૂર જણાય તો જમાલપુર જગન્નાથ મંદિરની સામે સેન્ટ્રલ સ્ટોર વિભાગમાં આવેલા સીએનસીડી વિભાગમાં સુપ્રિટેન્ડન્ટ અને વેટરનીટી ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad city ની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)નું રજિસ્ટ્રેશન 31 જુલાઈ 2025 સુધીમાં કરાવવાનું રહેશે.

FOLLOW US
  • Related Posts

    સુરતનો સ્માર્ટ દોર!

    અલથાણમાં દેશનું પ્રથમ હાઈટેક બસ સ્ટેશન શરૂ, જાણો તેની ખાસિયતસુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ ખાતે દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ બનાવવામાં આવ્યું છે, જે ગ્રીન એનર્જી અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે.…

    FOLLOW US

    અમરનાથ યાત્રા: LG મનોજ સિન્હાએ બતાવી લીલી ઝંડી, આ વખતે ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડો

    અમરનાથ યાત્રા માટે લોકો આજે જમ્મુથી રવાના થઈ રહ્યા છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી છે. યાત્રીઓ બપોર બાદ કાશ્મીર ઘાટી પહોંચશે, જોકે, મોટાભાગના…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *