ટ્રમ્પે ગુજરાતના ડાયમંડ ઉદ્યોગને પડ્યા પર પાટુ માર્યું

0% ટેરિફ હતો, હવે સીધો 26%, એક્સપોર્ટમાં પ્રતિ કેરેટે રૂ.2 લાખ સુધીનો વધારો, 35% માલ માત્ર USમાં એક્સપોર્ટ

ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ ક્યારે સુધરશે એના પર હવે સૌકોઈની ચિંતા દેખાઈ રહી છે, કારણ કે છેલ્લા લાંબા સમયથી મંદીનો માર સહન કરનાર ડાયમંડ ઉદ્યોગ માન પાટે ચડી રહ્યો હતો ત્યાં ટ્રમ્પે પડ્યા પર પાટુ માર્યું છે. પહેલાં 0% ટેરિફ હતો, હવે સીધો જ 26% કરી નાખ્યો છે. એના કારણે અમેરિકામાં નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં પ્રતિ કેરેટે 2 લાખ રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે અને લેબગ્રોનમાં 2,635 રૂપિયાનો વધારો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ભારત પોતાના હીરા ઉદ્યોગનો 35% માલ માત્ર USમાં જ એક્સપોર્ટ કરે છે.

એક તરફ ડાયમંડ ઉદ્યોગની અંદર રત્નકલાકારો બેરોજગાર થઈ રહ્યા છે, આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વૈશ્વિક સ્તર પર અનેક સમીકરણો ઊભાં થતાં ટ્રેડવોર શરૂ થયો તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ફલક પર યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થતાં ડાયમંડ ઉદ્યોગ પર એની સીધી અસર થઈ હતી.

ટેરિફ લાગુ થતાં જ ડાયમંડ ઉદ્યોગમાં ચિંતા કોરોના બાદ અત્યારસુધીમાં અંદાજે બે વર્ષ કરતાં વધુ સમયથી ડાયમંડ ઉદ્યોગની અંદર તેજીનો જે માહોલ જોવા મળતો હતો એ દેખાયો નહોતો. થોડાઘણા અંશે લેબગ્રોન ડાયમંડના કારણે સ્થિતિ સચવાઈ હતી, પરંતુ હવે ટેરિફ લાગુ થતાંની સાથે જ ડાયમંડ ઉદ્યોગ કેવી રીતે સુરક્ષિત રહેશે એને લઈને સૌકોઈ ચિંતામાં છે.

ભારતનો 35% માલ માત્ર યુએસમાં એક્સપોર્ટ ભારત અને અમેરિકા વચ્ચે વર્તમાન વેપારની વાત કરીએ તો વર્ષ 2024માં અમેરિકા અને ભારત વચ્ચે કુલ 129.2 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. આમાંથી યુએસના માલોની ભારતમાં આયાત 41.8 બિલિયન ડોલરની હતી, જ્યારે યુએસમાં ભારતથી 87.4 બિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું, આથી યુએસ માટે 41.8 બિલિયન ડોલરનો વેપાર ચિંતાનો મુદ્દો હતો. ભારતથી જેમ્સ એન્ડ જ્વેલરીક્ષેત્રે કુલ રૂપિયા 2.92 લાખ કરોડનું એક્સપોર્ટ થાય છે. ભારતથી આ ઉદ્યોગનો લગભગ 35% માલ માત્ર યુએસમાં એક્સપોર્ટ થાય છે અને દક્ષિણ ગુજરાત જેમ્સ અને જ્વેલરી માટે મહત્ત્વનું કેન્દ્ર તરીકે ઓળખાય છે, જે દેશના જેમ્સ એન્ડ જ્વેલરીનું 90% ઉત્પાદન કરે છે અને લગભગ 2 લાખ લોકો આ ઉદ્યોગમાં કાર્યરત છે.

અમેરિકાએ ભારતથી આયાત થતા હીરા અને જવેલરી પર નવી કસ્ટમ ડ્યૂટીઝ લાગુ કરવાની જાહેરાત કરી છે, જે 9 એપ્રિલ 2025થી અમલમાં આવશે. આ નવા નિયમો ભારતીય હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે મોટો આંચકો સાબિત થઈ શકે છે, જે દેશના અર્થતંત્રમાં મહત્ત્વનું યોગદાન આપે છે. અમેરિકાએ પોલિશ્ડ હીરા પર ડ્યૂટી 0%થી વધારીને 26%, લેબગ્રોન હીરા પર 0%થી 26%, અને ગોલ્ડ જ્વેલરી પર 5.5%થી 7% વધારીને 31.5%થી 33% નક્કી કરી છે. આ ઉપરાંત સિલ્વર જ્વેલરી અને જેમસ્ટોન જ્વેલરી પર વર્તમાન ડ્યૂટી 5%થી 6%ને 31%થી 32% સુધી વધારવામાં આવી છે. આ ફેરફારો ભારતીય નિર્માતાઓ અને નિકાસકારો માટે ગંભીર પડકારો ઊભા કરી શકે છે.

ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા – લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુ વાઘાણીએ જણાવ્યું હુતં કે અમેરિકાએ લીધેલા નિર્ણયને કારણે આખો ડાયમંડ ઉદ્યોગ ચિંતામાં આવી ગયો છે. ટેરિફને લઈને કોઈ નિર્ણય આવશે તો જ હીરા ઉદ્યોગનું આગળનું ભવિષ્ય સ્પષ્ટ થઈ શકશે, કારણ કે નિર્ણય લીધા બાદ અત્યારે જેમ એન્ડ જ્વેલરી એસોસિયેશન, રિયલ ડાયમંડ એસોસિયેશન, લેબગ્રોન ડાયમંડ એસોસિયેશન, જ્વેલરી એસોસિયેશન, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ જેવી તમામ સંસ્થાઓ વિચારમાં પડી ગઈ છે કે આગામી હીરા ઉદ્યોગનું ભવિષ્ય કેવું રહેશે.

FOLLOW US
  • Related Posts

    નવચેતન અદાણી વિદ્યાલયમાં રાષ્ટ્રીય બાળ દિવસની સર્જનાત્મક ઉજવણી થઈ

    હજીરા, સુરત તા.૧૫ : નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામના પ્રાથમિક વિભાગમાં બાળ દિવસની ઉજવણી સર્જનાત્મક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. બાળ દિવસ એ નિર્દોષ હાસ્ય, ઉલ્લાસ અને સર્જનાત્મકતાની ઉજવણીનો દિવસ છે.…

    FOLLOW US

    જાણો આ છે અદાણી હજીરા પોર્ટ લિમિટેડની વિશેષતાઓ….

    અદાણી હજીરા પોર્ટ,જે સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલું છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર છે. પોર્ટ પર પેનામેક્સ વેસલ્સ, લિક્વિડ ટેન્કર્સ…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *