
ઉધનામાં ગાડીએ અડફેટે લેતાં 13 વર્ષના વિદ્યાર્થીનું મોત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, મેયરે કહ્યું- તપાસના આદેશ આપ્યા
સુરતના ઉધના વિસ્તારમાં પાલિકાની કચરા ગાડીએ અકસ્માત કરી 13 વર્ષના કિશોરનો ભોગ લીધો હતો. ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થી કાર્તિક અનિલ નેહેતેને સુરત મહાનગરપાલિકા (SMC)ની કચરાની ગાડીએ અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કાર્તિક તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો, જેના મૃત્યુથી પરિવાર ગમગીન છે.
ભાઈ-બહેન સાથે સોડા પીવા નીકળ્યો હતો મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને ઉધનાના શિવનગરમાં 13 વર્ષીય કાર્તિક અનિલ નેહેતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને બે બહેન છે. મૃતક કિશોર રાત્રિના સમયે પોતાના બહેનો સાથે મોપેડ પર ઘરના નજીક સોડા પીવા નીકળ્યો હતો. ત્યારે SMCની કચરાની ગાડી અચાનક ઝડપે આવી ટર્ન લઈને મોપેડને અડફેટે લીધી હતી. જેથી બંને બહેન અને કાર્તિક ગંભીર રીતે ઘવાયા હતા. ગંભીર ઈજા થવાથી કાર્તિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું
બંને બહેન ઈજાગ્રસ્ત બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્તિકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યો હતો. આ સાથે જ ઇજાગ્રસ્ત થયેલા મોપેડ ચાલક અને તેની બહેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઉધના પોલીસે કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાને લઈને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મૃતક કાર્તિક એકમાત્ર દીકરો હતો મૃતક કાર્તિકના પિતા અનિલ નેહેતે એક શ્રમજીવી પરિવારના સભ્ય છે. કાર્તિક તેમનો એકમાત્ર દીકરો હતો અને પરિવાર તેના ભવિષ્ય માટે અનેક સપનાઓ જોઇ બેઠો હતો. એકમાત્ર પુત્રના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શોકમાં ગરકાવ પરિવારની હાલત ગંભીર છે.
ડ્રાઇવર સામે કડક કાર્યવાહીની માગ અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. પરિવારની માગ છે કે રોડ સલામતી માટે પાલિકા દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે અને આવા વાહનોના ચાલકોને ટ્રેઇનિંગ તથા મર્યાદિત ઝડપના નિયમોની કડક અમલવારી કરાવવી જોઈએ. આ સાથે જ આ કચરાની ગાડીના ચાલકને પણ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
સાઇડ આપ્યા વગર જોખમી વળાંક લીધો: બનેવી મૃતકના બનેવી કલ્પેશ ચૌધરીએ જણાવ્યું કે આ લોકો સોડા પીવા માટે એક્સેસ વ્હીકલ પર ઓછી સ્પીડથી જઈ રહ્યા હતા. ત્યારે સામેથી SMCની કચરાની ગાડી સ્પીડથી આવતી હતી. ગાડીએ સાઇડ લાઇટ આપ્યા વગર અચાનક જ વળાંક લેતા તેમને અડફેટે લીધા હતા. અકસ્માતના કારણે બાળકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું અને અન્ય બે યુવતીઓ પણ ઈજાગ્રસ્ત થઈ હતી.

ડ્રાઇવરની બેદરકારીના કારણે મોત થયું: પિતા મૃતકના પિતા અનિલ નેહેતેએ જણાવ્યું કે મને ફોન આવ્યો કે તમારા છોકરાનો કચરાની ગાડી સાથે અકસ્માત થયો હતો. મારા છોકરાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. ડ્રાઇવરની બેદરકારીના કારણે મોત થયું છે. મારી માગ છે કે મારા દીકરાને ન્યાય મળવો જોઇએ.
આ ઘટનામાં તપાસના આદેશ અપાયા છે: મેયર સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે બીઆરટીએસમાં અકસ્માતની ઘટના બની ત્યારે ડ્રાઇવરો અને એજન્સીઓની તપાસ કરાવવામાં આવી હતી અને જે ડ્રાઇવરો પાસે લાયસન્સ ન હોય તેની સામે ફરિયાદ દાખલ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. આજે જે ધોરણ-8ના વિદ્યાર્થીનું મોત થયું છે તેની પ્રાથમિક ઘટના એવી છે કે કચરાની ગાડી કચરો લેવા જઈ રહી હતી અને પાછળથી આ ત્રિપલ સવારી જઇ રહેલી બાઈકને અથડાઈ હતી. આ ઘટનામાં પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.