
ફાયર સેફ્ટી મુદ્દે 16 સ્કૂલની માન્યતા રદ કરવા સરકારને દરખાસ્ત મોકલાઈ
શિક્ષણ વિભાગે સ્કૂલઓમાં ફાયર સેફ્ટી નિયમોના અમલ મુદ્દે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અંતર્ગત આવતી 16 સ્કૂલઓની માન્યતા રદ કરવાની સરકારને દરખાસ્ત કરી છે. સરકારના આદેશ બાદ પણ આ સ્કૂલઓ દ્વારા દંડ ભરાયો નથી કે, ફાયર એન.ઓ.સી. પણ મેળવવામાં આવી નથી.
જિલ્લાની આશરે 380 સ્કૂલઓમાંથી 44 સ્કૂલને ફાયર એનઓસી નહી હોવાથી દંડની નોટીસ ફટકારી હતી. જેમાંથી 13 સ્કૂલોએ એનઓસી રજુ કરી છે. બાકી રહેલી 31 સ્કૂલોમાંથી 15 સ્કૂલઓએ દંડ ભર્યો છે.
જે સ્કૂલઓએ સરકારના આદેશની અવગણના કરી છે, તેમની સામે કડક કાર્યવાહી સ્વરૂપે માન્યતા રદ કરવા માટે કમિટીની રચના કરવામાં આવશે. કમિટી દ્વારા કરવામાં આવેલી તપાસ અને રિપોર્ટના આધારે હવે સ્કૂલની માન્યતા રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
NOC વિના ઓફલાઇન શિક્ષણ નહીં આપી શકે
જેમણે ફાયર એન.ઓ.સી. નહિ લીધી હોય, તેઓ માટે આ શૈક્ષણિક સત્ર 2025-26 દરમિયાન ઓફલાઈન શિક્ષણ ચલાવવાની મંજૂરી પણ અપાઈ નથી. આવી સ્કૂલઓ ફકત ઓનલાઇન શિક્ષણ આપી શકશે. આ નિર્ણય રાઇટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ, 2009 અંતર્ગત લેવામાં આવ્યો છે. > અરૂણ અગ્રવાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી